નમસ્કાર, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં મારી પાસે જે માહિતી ઉપલબ્ધ હતી તે મુકવામાં આવી છે, તેમ છતાં તેમાં કોઇ ભૂલ હોય તો માફ કરશો અને તમારી પાસે આ બ્લોગમાં મુકવા જેવી જો કોઇ માહિતી હોય તો આ ઇમેઇલ:KALPESH.MODASA@YMAIL.COMપર મેઇલ કરવા નમ્ર વિનંતી. આપનો કીમતી સમય આપવા બદલ આપનો આભાર !

સુવિચાર

સુવિચાર :- દિવસમાં જો તમે કોઈ પણ મુશ્કેલીમાંથી પસાર ન થાઓ તો સમજજો કે તમે ખોટા રસ્તે સફર કરી રહ્યા છો.- સ્વામી વિવેકાનંદ **** હું એ શા માટે વિચારું કે લોકો મારા વિશે શું વિચારે છે ? જો આ કામ પણ મારે કરવાનું હોઈ તો લોકો શું કરશે ?

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

મંગળવાર, 12 માર્ચ, 2013

પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ?



માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવામાં આવતું.
કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે,દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે. સારી વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે.
પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે. આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે?
માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે. અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી વધારે ગરમ હોય છેને! પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે.
રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ?
બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી.
પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે, પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી. કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે. પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે.
જીજાબાઇએ શિવાજી ને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનત ને પણ ધ્યાનમાં લેવી જોઈએ. દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ. રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.
પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે ”આપણાં નસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે”. તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરીને નવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘોજ વાપરશે.
સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે.
પિતા માંદા પડે ત્યારે તરતજ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે. કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.
પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ બાળક ને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખે પરમીટરૂમ માં પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે.
પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે,તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી. કારણકે ઘરના કર્તાહર્તા જીવંત છે. જો તેઓ કંઈપણ કરતા ન હોય તોપણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુવે છે, સંભાળે છે.
માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધેજ અર્થ મળે છે એટલેકે પિતા હોયતોજ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે,વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.
બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી. દાઝી ગયા, ઠેશ લાગી કે માર વાગ્યો કે તરતજ “ઓંમાં” આ શબ્દો મોઢા માંથી બ્હાર પડેછે પણ રસ્તો ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારેતો “બાપ રે” આજ શબ્દ બ્હાર પડે છે. નાના સંકટો માટે ચાલે પણ મોટી સમસ્યાઓ ના વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે. કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે.
પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે.
દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને?